Wednesday, February 28, 2018

પયગંબરની સહી નથી

મઝહબની એટલે તો ઈમારત બળી નથી,
શયતાન એ સ્વભાવે કોઈ આદમી નથી.
તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી,
સારૂં થયું કે કોઈ મનુજે લખી નથી.
ત્યાં સ્વર્ગ ના મળે તો મુસીબતનાં પોટલાં,
મરવાની એટલે મેં ઉતાવળ કરી નથી.
કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય,
નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી.
શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
કુરઆનમાં તો ક્યાંય પયગંબરની સહી નથી.
હિચકારું કૃત્ય જોઈને ઈન્સાનો બોલ્યા,
લાગે છે આ રમત કોઈ શયતાનની નથી.
ડુબાડી દઈ શકું છું ગળાબૂડ સ્મિતને,
મારી કને તો અશ્રુઓની કંઈ કમી નથી.
ઊઠ-બેસમાં જો ભૂલ પડે મનના કારણે,
એ બંદગીનો દ્રોહ છે, એ બંદગી નથી.
મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે જલન’,
જીવનની ઠેસની તો હજુ કળ વળી નથી
-જલન માતરી

No comments:

Post a Comment